સ્વર અને વ્યંજન :






સ્વર અને વ્યંજન :
———————

કોઈપણ ભાષા/બોલીને માટે જરુરી છે ધ્વનીની. આ ધ્વની ગળામાંથી નીકળે છે. શ્વાસ લેતાં આપણે બોલતાં નથી, કારણ કે શબ્દો માટે જે જરુરી હોય છે તે ધ્વનીને ઉચ્છ્વાસ દરમીયાન બહાર આવતી વખતે હવા લેતી આવે છે. અર્થાત્ ઉચ્છ્વાસ વખતે બહાર નીકળતી હવા દ્વારા ભાષા માટેના ધ્વની મળે છે.

આ બહાર નીકળતી હવા કોઈપણ જગ્યાએ અટક્યા વગર નીકળે અને આપણે ધ્વની કાઢીએ તો તે બધા જ ધ્વનીને સ્વરો કહેવાય. અ,આ,ઈ વગેરે બોલતી વખતે નીકળતી હવાને ક્યાંય પણ અટકાવ્યા વગર નીકળવા દઈને સ્વરયંત્ર આપણને સ્વર-ધ્વનીઓ આપે છે.

એ જ રીતે બહાર નીકળતી હવા જો ક્યાંય પણ અટકીને કે ઘસાઈને નીકળે અને એને કારણે જે ધ્વનીઓ પ્રગટે તેને વ્યંજનો કહેવાય છે. ક્ થી ળ્ સુધીના આ 34 વ્યંજનોના પ્રકાર, હવા જ્યાં પણ અટકે છે કે ઘસાય છે તે સ્થાનના નામ પરથી નક્કી થયા છે. જેમ કે તાલવ્ય વ્યંજનો અને ઓષ્ઠ્ય વ્યંજનો અનુક્રમે તાળવા અને હોઠ પાસે હવા અટકવાને કારણે એ નામથી ઓળખાય છે.





ગુજરાતીમાં કુલ 42 બેતાલીસ મુળ અક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના 34 વ્યંજનો છે.


સ્વર અને વ્યંજન-ભેદ


સ્વર એ સ્વતંત્ર ધ્વની છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈનો ઓશીયાળો નથી. કોઈ પણ સ્વર સ્વતંત્ર રીતે બોલી શકાય છે.

જ્યારે ક્ થી લઈને ળ્ સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી ! વ્યંજનને પુર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો જ પડે છે. આપણે જ્યારે ક કે ન બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે. ‘કાન’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા ન્ + અ એમ ઉચ્ચાર કરવાના થાય છે. અર્થાત્ ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલો કદી ઉચ્ચારી શકાતો નથી ! તમે પ્રયત્ન કરી જુઓ, અ ને ભેળવ્યા વીના આખો ક બોલી જુઓ !! જીભ કંઠ પાસે જ અટકી જશે !

સ્વરની બીજી ખુબી જે છે કે તેના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી તેને જ લીધે સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાયત થતી જ નથી.

આપણે જેને કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અનેગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે ઐ અને ઔ એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.

હવે આપણે જેને બારાખડી [બાર અક્ષરી] કહેતાં આવ્યાં છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પુરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય.

કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણીમાતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે ? એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ –

ક | ખ | ગ | ઘ | ङ [કંઠના સ્થાને જીભ અટકે ]
ચ | છ | જ | ઝ | ञ [તાળવા પાસે જીભ અટકે ]
ટ | ઠ | ડ | ઢ | ણ [મુર્ધ સ્થાને જીભ અટકે ]
ત | થ | દ | ધ | ન [દાંતના સ્થાને જીભ અટકે ]
પ | ફ | બ | ભ | મ [ હોઠના સ્થાને હવા અટકે ]

અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના પાંચેય અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……

ઘોષ-અઘોષતથાઅલ્પપ્રાણ-મહાપ્રાણઅક્ષરોનીઅદ્ભુતગોઠવણી !!
–જુગલકીશોર.
ગયા લેખમાં આપણે આપણા કક્કા માટે જે ગૌરવની વાત કરી હતી તેના અનુસંધાનમાં આજે એક સરસ વાત મુકી રહ્યો છું. આ વાત છે આપણા કક્કાની ગોઠવણી પાછળનું શાસ્ત્રીય સ્વરુપ.
આ કક્કો જે રીતે બોલાય છે તેનો ક્રમ જોઈશું તો આપણને સાચ્ચે જ આશ્ચર્ય થશે. આ કક્કામાં પાંચેય લાઈનોની આડી-ઉભી રચનાઓમાં ત્રણ મહત્ત્વના વીભાગોનો સમાવેશ થાય છે. એક મુખ્ય વીભાગ છે ઘોષ-અઘોષ વ્યંજનોનો; બીજો છે અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોનો અને ત્રીજો છે અનુસ્વારોનો. આમાંના પ્રથમ બન્નેને આજે એકસાથે જોઈ લઈએ….
અઘોષ સ-ઘોષ
==========/ =========/
અલ્પ- મહા- અલ્પ- મહા-
પ્રાણ પ્રાણ પ્રાણ પ્રાણ અનુસ્વાર
====/====/=====/=====/=======/
ક ખ ગ ઘ ङ [કङ्ઠ્ય ]
ચ છ જ ઝ ञ [તાલવ્ય ]
ટ ઠ ડ ઢ ण [મુર્ધન્ય ]
ત થ દ ધ न [દંત્ય ]
પ ફ બ ભ म [ઓષ્ઠ્ય ]
સહપાઠીઓ, આ કોઠો જ આપણને મુગ્ધ બનાવી મુકનારો મેં કહ્યો હતો ! એને જરા ઝીણવટથી જોઈને યાદ રાખવા પ્રયત્ન કરશો તો મઝા પડશે.
સૌથી પ્રથમ જોઈએ તો આ પાંચ પાંચ અક્ષરોની પાંચેય આડી લાઈનો જીભની અને હોઠની અટકાયતને કારણે ઉચ્ચારાતા વ્યંજનોની છે જે આપણે જોઈ ગયાં છીએ. હવાની અટકાયત જ્યાં જ્યાં થાય છે તે સ્થાનના નામ પ્રમાણે તે તે અક્ષરોને ઓળખવામાં આવે છે.
પરંતુ ઉભી લાઈનો જે છે તે દરેક ઉભી લાઈનમાં આવેલા અક્ષરોના કુલ ત્રણ પ્રકારો બતાવે છે.
પ્રથમ બે ઉભી લાઈનો અઘોષ અક્ષરોની છે જેને આપણે બોલ્ડ કર્યા નથી. બીજી બે લાઈનો સ-ઘોષ અક્ષરોની છે જે બોલ્ડ અક્ષરોમાં છે. આ થયો પ્રથમ પ્રકાર. ઘોષ અને અઘોષ અક્ષરોનો.
બીજો પ્રકાર છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અક્ષરોનો. બંને ઉભાં ખાનાંમાં [ઘોષ ખાનું અને અઘોષ ખાનું] પ્રથમ ઉભી લીટી કે જે ઈટાલીક અક્ષરોમાં છે તે અલ્પપ્રાણ અક્ષરોની છે જ્યારે બીજી ઉભી લીટીના અક્ષરો કે જે ઈટાલીકમાં નથી. આ બંને મુખ્ય ખાનાંઓમાંની બન્ને પ્રથમ લાઈનોનો રંગ એક સરખો છે વાદળી છે જ્યારે બીજી બન્નેનો રંગ લાલ રંગનો છે.
આ કોઠાનો ત્રીજો પ્રકાર અનુસ્વારોનો છે જેને વીષે આત્યારે વાત કરવાની નથી.
અઘોષ – સઘોષઅક્ષરો :
કોઈપણ અક્ષરને ઉચ્ચારતી વખતે કાનમાં આંગળીઓ ભરાવીને જરા મોટેથી બોલશો, સહપાઠીઓ ? જુઓ, અઘોષ ખાના નીચેના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને એ જ રીતે ઉચ્ચારી જુઓ. તમને બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સંભળાશે !! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે ! આ બે ભેદને લીધે બે ભાગ પડ્યા તે સમજાયું હશે.
અલ્પપ્રાણ – મહાપ્રાણ :
એ જ રીતે હવે એક નવી રમત કરી જુઓ : અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની એક જ રંગની આડી લાઈનમાંથી કોઈપણ અલ્પપ્રાણ વીભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ક ઉચ્ચારો. હવે ક ને જ ઉચ્ચારવાનો છે પરંતુ આ વખતે ક ને ઉચ્ચારતી વખતે ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકવાની છે.
યાદ રાખો કે બોલવાનો તો છે ફક્ત ક ! પરંતુ પહેલી વાર સાધારણ હવા ફેંકવાની છે જ્યારે બીજી વાર હવા જોરથી ફેંકવાની છે !! એ જ રીતે ચ નો ઉચ્ચાર કરી જુઓ. એક વાર ઓછી હવા ફેંકો અને બીજી વાર વધુ અને જોરથી હવા ફેંકતાં જ ચ નો ઉચ્ચાર કરો.
તમે ગમે તેટલી કોશીશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે તમે ક કે ચ બોલી જ નહીં શકો !! હવા વધુ ફેંકતાં જ ક નો ખ થઈ જશે અને ચ નો છ થઈ જ જશે !!! આ છે મહાપ્રાણનો જાદુ !
અહીં હું અટકું છું. પણ આ પાંચેય આડી-ઉભી લાઈનો શા માટે ગોઠવાઈ છે ?! શા માટે ક પછી ખ ને મુક્યો છે, અને ચ પછી છ ને જ મુક્યો છે ?! ક અને ગ ની તથા ખ અને ઘ ની વચ્ચે શું સંબંધ છે ?!
આ બધા સવાલોની ચર્ચા આવતે વખતે ! ત્યાં સુધી કચ્ચા પાપડ, પક્કા પાપડની આ રમત સૌ કોઈ [અલબત્ત કોઈ ન જુએ એ રીતે] કરશો તો મારી આ મહેનત ફળશે.
વીરામચીહ્નો વીષે ખાસ




ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં સમય જતાં કેટલાક વીદ્વાનોએ ફેરફાર સુચવ્યા અને એમ ધીમે ધીમે વીરામચીહ્નોની સંખ્યા મર્યાદીત થતી ગઈ.


અનેક વીદ્વાનોએ આ વીષય પર જે ગ્રંથો લખ્યા તેમાં નીચેનાનો સમાવેશ કરી શકાય :
શ્રી જોસેફ વી. ટેલરે લખેલા પુસ્તક “ગુજરાતી ભાષાનું વ્યાકરણ” ઉપરાંત શ્રી હ.દ્વા.કાંટાવાળા તથા શ્રી લા.ઉ.ત્રવાડી દ્વારા લખેલું પુસ્તક “ નવું ગુજરાતીભાષાનું વ્યાકરણ” ; શ્રી કમળાશંકર પ્રા. ત્રિવેદી કૃત “ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ” ; ડૉ.કે.બી.વ્યાસના”ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર” ; શ્રી મનસુખલાલ ઝવેરી કૃત “ ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન” તથા શ્રી કે.કા. શાસ્ત્રી કૃત “ગુજરાતી ભાષાલેખન”
વીરામચીહ્નો જેમ અંગ્રેજીમાંથી આવ્યાં એ ખરું પરંતુ એનો અર્થ આપણે બરાબર અપનાવ્યો જણાતો નથી ! અંગ્રેજી શબ્દ ‘પંક્ચ્યુએશન’ અને ગુજરાતી શબ્દ ‘વીરામચીહ્નો’ વચ્ચે ઘણો તફાવત જણાય છે ! અંગ્રેજી શબ્દ પંક્ચ્યુએશનનો અર્થ મુળ લેટીન મુજબ ‘એ પોઈન્ટ’ એવો થાય છે જ્યારે આ શબ્દના અર્થમાં રહેલી વીભાવના જોઈએ તો તે આ મુજબ વ્યક્ત થાય છે :




1] અર્થની સ્પષ્ટતા માટે ભાષામાં વીરામચીહ્નો મુકવાં;






આ ઉપરાંતનાં ચીહ્નો તેઓ બતાવે છે તે આ મુજબ છે :
1 – ગુરુરેખા ( _ )
2 – લઘુરેખા ( – )
3 – પ્રશ્નચીહ્ન ( ? )
4 – ઉદ્ગારચીહ્ન ( ! )
5 - કૌંસચીહ્ન ( { } -( )-[ ]- )
6 - લોપચીહ્ન ( ’ )
7 – અવતરણચીહ્નો ( ‘ ’ - “ ” )
8 – લઘુસ્વરનાં ચીહ્નો ( અર્ધચંદ્રાકાર તથા | )
9 – ગુરુસ્વરનાં ચીહ્નો ( – તથા ડ )
10 – થડક કે તાળચીહ્ન ( ’ )
11 – સમાનચીહ્ન ( = )
12 – પ્રકરણ અથવા ખંડકચીહ્ન ( § )
13 – ભુલચીહ્ન ( ^ )
14 – ફુલ / ફુદડી ( * ) ; કટારી( † ) ; દ્વીકટારી ( આગળનાં બે ઉપરાઉપરી ચીહ્નો) દ્વીરેખા( ॥) સર્પગાંઠ (§) અને પદચીહ્ન
15 – સુચકચીહ્ન ( હાથની આંગળીથી દર્શાવતું ચીહ્ન)
આટલાં ચીહ્નો શરુઆતમાં જે હતાં તેમાંથી કાળક્રમે ઘણાં ચીહ્નોને વીરામચીહ્નોની યાદીમાંથી બાદ કરીને છેવટ આજે આપણે જોઈએ છીએ તે જ ચીહ્નો રહ્યાં છે જેના વીષે આપણે આગળનાં પ્રરકરણોમાં જોઈ ગયાં છીએ.
જોડણી

ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.
નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,
રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,
ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.
આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે

ચાર કે તેથી વધુ અક્ષરોના શબ્દોમાં પહેલો અક્ષર ઇ કે ઉ હ્રસ્વ હોય છે.
નિરધાર, હિલચાલ, વિખવાદ, ઉતરાણ, ઇમારત, મિલાવટ, શિખામણ, ચુકવણું,
રિસામણી, રિબામણી, સુકવણી, બિહામણું,
ઉતરડ, ઉધરસ, કુદરત, ઉતરામણ, ઉકળાટ, ઘુરકાટ, ઉકરડો, ઉજવણી, ઉગમણું, ફુલણિયું, હુલામણું, ઉપજાવી, સુધરાવી, ઠુકરાવી, ઉપકરણ, ઉજળિયાત, ઉદાહરણ વગેરે.
આ બધામાં પ્રથમ અક્ષર હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ જોવા મળે છે.


નુસખો નવમો


આગળ આપણે જોયું હતું કે ત્રણ અક્ષરના શબ્દોમા પ્રથમ અક્ષર જો હ્રસ્વ ઇ–ઉ હોય તો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય છે ને પ્રથમ અક્ષર જો દીર્ઘ ઈ–ઊ હોય તો વચ્ચેનો અક્ષર હ્રસ્વ/લઘુ હોય છે.
એવી જ રીતે ત્રણ કે ચાર અક્ષરના શબ્દોમાં જો પ્રથમ અક્ષર ઈ કે ઉથી શરુ થતો ન હોય તો તેવા શબ્દોનો વચલો અક્ષર દીર્ઘ હોય છે. (ચાર અક્ષરોમાં બીજો અથવા ત્રીજો.)
વજીર, કથીર, ગંભીર, જાલીમ, જાગીર, સમીર, વકીલ, વડીલ, અનોખું, અદીઠું, પડીકું, તંતીલું, નજીવું, ઘાટીલું, ઝેરીલું, અધૂરું, નશીલું, બડૂકો, બડીકો, હઠીલો, ઢબૂડી, લબૂક, કેસૂડો, ખજૂરો;
વહીવટ, હકીકત, નસીયત, તકલીફ, કબૂતર, ટચૂકડું, ટબૂકલું, અવધૂત, તરબૂચ, મજબૂત વગેરે.
કેટલીક ખાસ પરીસ્થીતીઓ હોય છે જેમાં આપણે આગળ જોયા તેવા નીયમોમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે –
બે શબ્દો મળીને કોઈ શબ્દ બનતો હોય ત્યારે તેના મુળ શબ્દના અક્ષરોની સંખ્યા વધી જાય છે. તેથી બે કે ત્રણ અક્ષરના શબ્દોને લાગુ પડતા નીયમોમાં બદલાવ આવતો જોવા મળે છે. દા.ત.
૧) મુળ ક્રીયાપદને કે અન્ય કોઈ શબ્દની પાછળ પ્રત્યય લાગે ત્યારે પણ તે શબ્દના અક્ષરો મુળ શબ્દથી વધી જાય છે. જેમ કે, શીખવું પરથી શીખનાર કે શીખવનાર બનશે તથા મૂરખ પરથી મૂરખાઓ વગેરે. અહીં આગળ જોયેલો નીયમ “વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ અક્ષર લઘુ હોય છે” તે જળવાતો નથી.
૨) વીશેષણ પરથી નામ બને ત્યારે મૂળ જોડણી બદલતી નથી. જેમ કે, મીઠું પરથી મીઠાશ, શીતળ પરથી શીતળતા, દૂબળું પરથી દૂબળાપણું વગેરે.
૩) સમાસ બનતો હોય ત્યારે સમાસના શબ્દોથી બનેલા શબ્દના અક્ષરો વધે છે; આવે સમયે પણ મુળ નીયમ જળવાતો નથી. જેમ કે, ઊઠવું, બેસવું મળીને થતો શબ્દ ઊઠબેસ, ફૂલઝાડ, લીલીસૂકી વગેરે.
હવે છેલ્લે કેટલીક એવી પરીસ્થીતીઓ પણ જોઈએ જેમાં મુળ શબ્દની જોડણી બદલી જતી હોય.
૧) નામ ઉપરથી વીશેષણ બને ત્યારે મુળ જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
ખૂણો પરથી ખુણીયાળું, દૂધ પરથી દુધાળું, મૂછ પરથી મુછાળું, સૂતર પરથી સુતરાઉ, ખીચડી પરથી ખિચડિયુ વગેરે.
૨) ક્રીયાપદ ઉપરથી નામ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
ઊતરવું પરથી ઉતારો; ચીતરવું પરથી ચિતારો કે ચિતરામણ; ઊછળવું પરથી ઉછળાટ, શીખવું પરથી શિખામણ, શિખવણી.
૩) ક્રીયાપદ પરથી વીશેષણ બને ત્યારે જોડણીમાં ફેરફાર થાય છે. જેમ કે,
પીરસવું પરથી પિરસણિયો; ઊલળવું પરથી ઉલાળો કે ઉલાળ; ભૂલવું પરથી ભુલકણું.
૪) ક્રીયાપદનાં પ્રેરક કે કર્મણી રુપો બને ત્યારે જોડણી બદલે છે. જેમ કે,
મૂકવું પરથી મુકાવવું, મુકાવું; ઊઠવું પરથી ઉઠાડવું, ઉઠાવું; શીખ પરથી શિખવાડવું, શિખવવું. (શીખવું ક્રીયાપદ આજે આપણે લગભગ બધા જ અપવાદોમાં જોયું છે !! અને દરેક સ્થળે તે અલગ દેખાય છે.)
ઉપર જ આપણે જોયું કે કેટલીક પરીસ્થીતીઓમાં મુળ શબ્દની જોડણી બદલી જાય છે, પણ હવે એક મોટો તફાવત પણ અહીં જ જોઈ લેવો જરુરી છે.
“સાનુનાસીક સ્વરોવાળા શબ્દોમાં મુળ જોડણી જેમની તેમ જ રહે છે. દા.ત. ઊંઘ, ગૂંથ, ફૂંક, લૂંટ, ખૂંચ, ખૂંદ.
ઊંઘ પરથી ઊંઘાડવું, ઊંઘાવું, ઊંઘાળ, ઊંઘણશી.
લૂંટ પરથી લૂંટાવવું, લૂંટાવું, લૂંટાઉં વગેરે.
છેલ્લે, કેટલાક પુછાયેલા સવાલોના ખુલાસા રુપે એક વાતની સ્પષ્ટતા કરવાની કે,
આ બધા નીયમો મોટે ભાગે તદ્ ભવ શબ્દોને માટેના જ છે. તત્સમને આપણા ઘણા નીયમો લાગુ પડતા નથી કારણ કે જોડણીકોશનો પહેલો જ નીયમ તત્સમ શબ્દોને અલગ ગણીને તેને તે જ્યાંથી (જે ભાષામાંથી) ઉતરી આવ્યા હોય તે તે ભાષાના નીયમો જ લગાડવાનું કહે છે.
સહપાઠીઓ !
કેટલાક નુસખા આપણે સહેલી જોડણી કરવાના જોયા. આના જ ભાગ રુપે કેટલાક નીયમોને હજી પણ જોવા જેવા છે. આ નીયમો અંગે હું સતત અભ્યાસ કરીને શીખી/સમજી રહ્યો છું. થોડા સમય પછી એ નીયમોને પણ આપણે સ્પર્શ કરીશું.
પરંતુ આ નાનકડા પ્રયાસને અંતે રજા માગવા કરતાં મને તો એક વચન સૌ પાસેથી લેવાની પ્રબળ ઈચ્છા છે !! આજથી જ સૌ એક સંકલ્પ કરે કે અમે સૌ શુદ્ધ ગુજરાતી લખવાનો ભરસક પ્રયત્ન કરીશું અને,
ખાસ તો એક નાનો ખીસ્સાકોશ તો જરુર વસાવીને એનો સતત ઉપયોગ કરતાં રહીશું.

No comments:

Post a Comment